પવનપુત્રનુ એક એવુ ધામ જ્યાં માનવ સ્વરુપે હનુમાનજી દર્શન આપે છે. જી હા આ સ્થાનક અતિ ચમત્કારીક માનવામાં આવે છે જે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલુ છે. તપોભૂમિ કહેવાતા ભીડભંજન હનુમાન મંદિરના આજે આપને દર્શન કરાવીશુ જ્યાં ત્રેતાયુગથી માંડી આજ દિન સુધી હનુમાનજીની હાજરી અનુભવાય છે.
તો આવો વડોદરાના ભીડભંજન હનુમાન મંદિરનો મહિમા જાણીએ. સંસ્કારી નગરી એવા વડોદરાના હરણી વિસ્તારમાં સ્થિત છે પવનપુત્ર હનુમાનજીનું માનવ સ્વરુપ જે ભીડભંજન હનુમાન તરીકે પૂજાય છે. કહેવાય છે કે સ્કંદપુરાણના વિશ્વામિત્ર મહાત્મય અધ્યાયમાં આ ધામનું વર્ણન કરાયુ છે. આ સ્થાનકમાં પ્રવેશતા જ મનને અપાર શાંતિ અને સુરક્ષાની અનુભૂતિ થાય છે કારણ કે રામભક્ત હનુમાનની જ્યા હાજરી હોય ત્યા તમામ મલીન તત્વો નાશ પામે છે.
મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજીની માનવ સ્વરુપની પ્રતિમા અનન્ય મહત્વ ધરાવે છે.. અન્ય કોઈ પણ મંદિરમાં પવનપુત્રના માનવસ્વરુપના દર્શન થતા નથી, તેથી જ આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક રીતે ખૂબ મહત્વનું મનાય છે. આ ધામ સાથે જોડાયેલી કથા, સાંભળનાર દરેક વ્યક્તિને અભિભુત કરે છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને હિરણનગરી કે જેને આજે હરણી વિસ્તાર કહે છે તેનું મહત્વ સમજાવ્યુ હતુ. ત્રેતાયુગમાં દૈત્યરાજ હિરણ્યાક્ષને પવનપુત્ર હનુમાનજીએ રામકૃપાથી પોતાના પગે પાળ્યો હતો.
પરંતુ યુદ્ધના એ સમયે હનુમાનજીનું સ્વરુપ અતિ ક્રોધિત અને ભયંકર હતુ. જો કે પ્રભુ શ્રી રામની આજ્ઞાથી કપિરાજે પોતાનું ભયંકર સ્વરુપ, વિરાટ સ્વરુપ ત્યજી માનવ સ્વરુપે સ્થાપિત થવાનું સ્વીકાર્યુ. ત્યારથી માંડીને આજ દિન સુધી જે પણ ભક્ત જીવનની વિપદાથી ઘેરાયા હોય તેમની સહાય ભીડભંજન હનુમાનજી અચુક કરે છે.
એવા અસંખ્ય ભક્તો છે જેમને ચિરંજીવી હનુમાનના પરચા મળ્યા હોય. પ્રાચીન સમયથી આજે પણ પૂજારીની નવમી પેઢી પ્રભુની સેવા કરતા આવ્યા છે. ગર્ભગૃહની બારશાખ પર દ્રષ્ટિ કરીએ તો પવનપુત્રના અગિયાર સ્વરુપોનીં કાષ્ટ પર અતિસુદંર કોતરણી જોવા મળે છે. આધુનિક વિજ્ઞાનની સહાય છે સૌ ભક્તો યથાશક્તિ હનુમાનજીને તેલ ચઢાવી પાપમુક્તિ કરે છે.
હરણી વિસ્તારના આ ચમત્કારી સ્થાનકના પરિસરમાં બોરસલીના વૃક્ષ નીચે જ અશોક વાટિકાનું એ દ્રશ્ય પણ જોવા મળે છે જ્યાં દેવી સીતા અને હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. આ સુંદર પ્રતિમાઓ એટલી જીવંત અને દિવ્ય લાગે છે કે ભક્તો નતમસ્તક થઈ જાય. જ્યાં હનુમાનજી હોય ત્યાં પ્રભુ શ્રી રામ પણ હોય.
આ જ વાતને સાર્થક કરે છે શ્રીરામ સીતા અને લક્ષ્મણની આ સુંદર પ્રતિમાઓ.. સાથે જ રાધા કૃષ્ણ અને મહાદેવની પણ અહિં સ્થાપના કરાઈ છે. અતિ પ્રાચીન કહેવાતા ભીડભંજન હનુમાન મંદિરમાં વિવિધ પર્વોની ધામધૂમથી ઉજવણી થાય છે. જેમાં રામ નવમી, હનુમાન જયંતિ, શ્રાવણ માસના ચાર શનિવાર, કાળી ચૌદશ વગેરે તહેવારોમાં અહિં ભવ્ય મેળો ભરાય છે. રાજ્યભરમાંથી જ નહિ પરંતુ દેશભરમાંથી ભક્તો ભીડભંજન હનુમાનજીના દર્શનનો લ્હાવો લે છે.